શ્વેત ક્રાન્તિના જનક
ડૉ. વર્ગીઝ કુરિયન
આજથી ૫૦-૬૦ વર્ષો પહેલા ‘માખણ’ને માટે એક શબ્દ વપરાતો - ‘પોલસન’. આજે એ શબ્દનું સ્થાન લીધું છે ‘અમૂલ’ શબ્દએ. ‘પોલસન' બ્રાન્ડ હેઠળનું માખણ જ્યાં બનતું હતું તે ડેરી ગુજરાતના દૂધ-સમૃદ્ધ જિલ્લા આણંદના, આણંદ શહેરમાં આવેલી હતી અને ‘અમૂલ’ બ્રાન્ડ હેઠળની માખણ સહિતની દૂધની પેદાશો જ્યાં બને છે તે ડેરી પણ આણંદમાં જ આવેલી છે. ‘અમૂલ’ શબ્દ ‘આણંદ મિલ્ક યુનિયન લિ.' નામની સહકારી સંસ્થાના અંગ્રેજી અક્ષરો છે. જ્યારે આપણે ડૉ. વર્ગીઝ કુરિયનની સેવાને મૂલવવાનો પ્રયત્ન કરતાં હોઈએ ત્યારે ‘અમૂલ’ વિષે તો જાણવું જ પડે.
કોલકત્તાથી આગળ જઈ બાંગલા દેશના ઢાકા સુધી પહોંચતા વિશાળ સાગર જેવી બની જતી હુગલી - ગંગાની ઉપમા અમૂલ ડેરીના વિકાસને જરૂર આપી શકાય. બદ્રીનાથ પાસેથી નીકળતી ‘અલકનંદા' અને ગંગોત્રી પાસેથી નીકળતી ‘ભાગીરથી’ દેવપ્રયાગ પાસે મળે છે ત્યારે તે બાળગંગા સ્વરૂપ ‘ગંગા'માં પરિવર્તન પામે છે અને પછી તેમાં અનેક ધારાઓ ઉમેરાતા હરિદ્વાર પાસે પહોંચતા યુવા ‘ગંગા’ બને છે. અને હુગલી પછી અનેક રૂપ ધારણ કરી અનેક નદીઓમાં પરિવર્તિત થાય છે. આ ઉપમા અમૂલ ડેરીના વિકાસની બે ધારાઓ ભાગીરથી સમા શ્રી ત્રિભુવનભાઈ પટેલ અને મંદાકિની-અલકનંદા સમા ડૉ. વર્ગીઝ કુરિયનના મિલનના પરિણામે સર્જાયેલી ખેડૂત પાવની ગંગા સમી અમૂલ ડેરીના વિકાસ-પ્રવાહને સરળતાથી સમજાવી શકશે.
ખેડા (જે હવે ખેડા અને આણંદ એમ બે જીલ્લાઓમાં વિભક્ત થયો છે) જિલ્લો ગુજરાતમાં ખેતીવાડીની દૃષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે અને ભારતની પરંપરા અનુસાર ખેતી સાથે પશુધન પણ સંકળાયેલ છે, તેથી દૂધના ઉત્પાદનમાં પણ પહેલેથી જ અગ્રેસર હતો. તેથી જ્યારે મુંબઈમાં અને આસપાસમાં વસતા બ્રિટીશ બાબુઓને મુંબઈનું દૂધ અને માખણ
બિનઆરોગ્યપ્રદ લાગ્યું ત્યારે તેમણે ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદનનો ઉપયોગ કરવાનું વિચાર્યું. શરૂઆતમાં આ દૂધ મુંબઈ સુધી (આશરે ૩૫૦ મિ.) બરફમાં ગોઠવેલા કેનમાં રવાના થતું. આ દૂધ ભેગું કરી તેના ઉપર યોગ્ય પ્રક્રિયા કરી મુંબઈ રવાના કરવાનું કામ ‘પોલસન’ ડેરી કરતી. સરકારે તેમને આર્થિક અને અન્ય સવલતો ઉપરાંત દૂધ એકત્ર કરવાનો ઈજારો પણ આપ્યો હતો. વધારાના દૂધનો ઉપયોગ માખણના ઉત્પાદનમાં થતો. ખેડૂતો પાસેથી ભેગા કરવામાં આવતા દૂધના ભાવ અંગે ઉત્પાદકોને હંમેશા અસંતોષ રહેતો. દૂધ બગડી જાય એવી ચીજ હોવાથી ખેડૂતોને જે ભાવ મળે તે ભાવે આપી દેવું પડતું. ઘણી વાર દૂધનો ભરાવો વધુ થાય તો દૂધની ખરીદી બંધ પણ રહેતી.
આ પરિસ્થિતિમાં ખેડૂતોના હિતાર્થે ખેડા જિલ્લાના ગામેગામ દૂધ સહકારી મંડળીની સ્થાપના કરવાનું સૂચન સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું અને શ્રી મોરારજી દેસાઈની આગેવાની હેઠળ ગામેગામ દૂધ સહકારી મંડળીઓની સ્થાપના થઈ. દૂધ વેચવા માટે તો પોલસન પાસે જ જવું પડતું, અને તેઓ તેમની શરતે દૂધ ખરીદતા. આ દૂધ મંડળીઓનું એક યુનિયન ખેડા જિલ્લા સહકારી મંડળી તરીકે બન્યું અને તેના પ્રથમ પ્રમુખ તરીકે શ્રી ત્રિભુવનભાઈ પટેલને શ્રી મોરારજી દેસાઈએ નીમ્યા. જ્યારે આ થઈ રહ્યું હતું ત્યારના દિવસોમાં જ ભારતને આઝાદી મળવામાં પણ ઘડીઓ ગણાઈ રહી હતી. પોલસન ડેરીના વિકલ્પરૂપે યુનિયન પોતાની ડેરીની સ્થાપના કરે એવો વિચાર એ અરસામાં જ વહેતો થયો. ગામેગામ દૂધનું ઉત્પાદન તો થતું જ હતું. ધીરે ધીરે જિલ્લાના દરેક ગામોમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની રચના થઈ, જેથી ઉત્પાદિત દૂધનું વેચાણ યોગ્ય ભાવે થઈ શકે અને ખેડૂતોનું શોષણ અટકે. શ્રી ત્રિભોવનભાઈના આ દિશાના પ્રયત્નોને કારણે સ્વતંત્રતા બાદ સરકારી પીઠબળ પણ પ્રાપ્ત થયું. શરૂઆતનું કામ મુશ્કેલ હતું. ઘણાં અવરોધો હતા. એ સમયે આણંદમાં એક સરકારી ડેરી પણ કાર્યરત હતી અને તેનું સંચાલન તે વખતની મુંબઈ સરકાર કરતી હતી.
આ એક ધારા ધીરે ધીરે વિકસી રહી હતી. બીજી ધારા કુદરતે શ્રી વર્ગીઝ કુરિયનના સ્વરૂપે રચી. ગાય કે ભેંસ કેવી હોય તેનું પણ એક સમયે જેને જ્ઞાન નહોતું એવા ઈ.સ.૧૯૨૧માં જન્મેલા ડૉ.કુરિયનને કુદરત જ આણંદ ખેંચી લાવી. એક સમયના ખૂબ મોટા અર્થશાસ્ત્રી અને ટાટા સ્ટીલમાં મહત્ત્વનો હોદો ધરાવતા જ્હોન મથાઈ (જેઓ સ્વતંત્રતા બાદ ભારત સરકારના પ્રથમ નાણાપ્રધાન બન્યા) ડૉ. કુરિયનના મામા હતા. ડૉ. કુરિયન ધાતુશાસ્ત્રના એન્જીનીયર થયા બાદ જ્હોન મથાઈએ તેમને ટાટા સ્ટીલમાં જોડી દીધા. મોટી કંપની, સારો પગાર અને તેમના જેવા પ્રતિભાવાન એન્જીનીયર માટે અનુકૂળ એવું સ્થળ હોવા છતાં ડૉ. કુરિયન અહીં સુખી નહોતા. કંપનીના એક ઉચ્ચ કક્ષાના અધિકારીના સગા હોવાના ફાયદા કરતા ગેરફાયદા વધુ હતા. કોઈ સહકાર્યકર તેમની સાથે મૈત્રી કેળવવા તૈયાર નહોતા. થોડા જ વખતમાં તેમણે ટાટા કંપની છોડી દેવાનું નક્કી કર્યું. પણ જવું ક્યાં?
તે સમયે ભારત સરકાર પરદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા યુવાનોને આર્થિક મદદ કરતી હતી. બદલામાં તેમણે અભ્યાસ પૂરો કર્યા પછી ભારત પરત આવી ઓછામાં ઓછા પાંચ વર્ષ સરકાર કહે ત્યાં કામ કરવાનું રહેતું. ડૉ. કુરિયને આ લોન સ્કોલરશીપ માટે અરજી કરી અને તેમની પસંદગી પણ થઈ..! એક ધાતુશાસ્ત્રના ઈજનેરને શિકાગો ખાતે ‘ડેરી ટેકનોલોજી’ના વધુ અભ્યાસ માટે પસંદ કરવામાં આવ્યા..! ડૉ. કુરિયનને તો ટાટામાંથી છૂટકારો જોઈતો હતો એટલે તેમણે તે સ્વીકારી લીધું. અભ્યાસ પૂરો કરી ડૉક્ટરેટની ઉપાધિ મેળવી ડૉ. કુરિયન ભારત પરત આવ્યા ત્યારે તેમની અપેક્ષા હતી કે સરકાર તેમને કોઈ મોટા શહેરમાં સારી જગ્યાએ નીમશે, પણ સરકારે તેમને આણંદમાં આવેલી સરકારી ડેરીમાં નિમણૂંક આપી દીધી. કરાર કર્યા હતા એટલે એ નોકરી સ્વીકારવા સિવાય છૂટકો નહોતો. ડૉ. વર્ગીઝ કુરિયન આણંદ આવી ગયા. સરકારી ડેરીમાં કાંઈ કામ નહોતું. દૂધને પ્રોસેસ કરવાની જે થોડી મશીનરી હતી તેમાં તેમનો કોઈ ખાસ ઉપયોગ નહોતો અને એક મશીન જે એક માણસ ચલાવી શકે તેને ચલાવવા માટે દશ માણસો હતાં. થોડા જ વખતમાં તેઓ આરામ ફરમાવીને થાકી ગયા. નોકરી ઉપરાંત રહેવા માટે પણ સારી જગ્યા તેમને મળી શકી નહોતી, કારણ કે ભાડે મકાન મેળવવા માટે તેમની લાયકાત કરતા ગેરલાયકાતો વધારે હતી, જેવી કે કેરાળાના ખ્રિસ્તી, માંસાહારી, કુંવારા વગેરે. જેમતેમ કરીને તેમને બંધ પડેલા મોટર રીપેરીંગ ગેરેજની જગ્યા મળી, જેને તેમણે જેમતેમ કરીને રહી શકાય તેવી બનાવી. ડૉ. કુરિયનને વહેલી તકે આણંદ છોડવું હતું. તે સમયે ધૂળિયા ગામ આણંદની વસ્તી માત્ર દશેક હજારની હતી. ખૂબ અગવડો હતી અને રસ પડે એવું કોઈ કામ નહોતું. થોડા થોડા વખતે તેઓ સરકારમાં રજૂઆત કરતા રહ્યા કે ત્યાં તેમનો કે તેમની આવડતનો કોઈ ઉપયોગ નથી અને સરકારનો પગાર નકામો જાય છે, માટે તેમને છૂટા કરવા.
ફુરસદનો સમય પસાર કરવા તેઓ ઘણીવાર બાજુમાં જ આવેલા ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીમાં જતા એટલે તેમને ધીરે ધીરે ત્રિભુવનભાઈ પટેલ સાથે પરિચય કેળવાયો. ક્યારેક ડૉ. કુરિયન તેમને મદદ પણ કરતા. મંડળી જે મશીનરી લાવી હતી તે ખૂબ જૂની અને ચાલી શકે તેવી ન હતી. ડૉ. કુરિયને આ મશીનરીને ઠીક કરવા પ્રયત્નો કર્યા પણ તે વધુ ચાલી ન શકી, તેથી તેમણે ત્રિભુવનભાઈને સૂચવ્યું કે આના બદલે નવી મશીનરી લાવવી જોઈએ. તે સમયે નવી મશીનરી માટે જરૂરી ચાલીસ હજારની રકમ ખૂબ મોટી હતી, છતાં શ્રી ત્રિભુવનભાઈએ તેની વ્યવસ્થા કરી અને તે રકમ આપી ડૉ. કુરિયનને મુંબઈ મોકલ્યા અને નવી મશીનરીનો ઓર્ડર લાર્સન એન્ડ ટોબ્રોને આપી દેવાયો.
બે ધારાનો સંગમ થવાની આ શરૂઆત હતી. એ અરસામાં ડૉ. કુરિયને લખ્યું હતું, ‘આણંદ પ્રત્યે મને તિરસ્કાર થયો. મારે ત્યાંથી ભાગી છૂટવું હતું, પણ તેમ કરી શકતો નહોતો, કારણકે ભારત સરકાર સાથે કરાર હતો કે તેઓ મને જ્યાં મોકલે ત્યાં પાંચ વર્ષ માટે નોકરી કરવી. આ કરારમાંથી છૂટવા માટે આપવા પડે તેટલા પૈસા મારાથી અપાય તેમ નહોતા..'
રજૂઆતને કારણે સરકારે તેમનું રાજીનામું મંજૂર કર્યું અને તેમને છૂટા કર્યા. ડૉ. કુરિયને વહેલી તકે મુંબઈ પહોંચવા માટે બિસ્તરા બાંધી દીધા અને નીકળવાની તૈયારી કરતા હતા, ત્યાં જ શ્રી ત્રિભુવનભાઈ તેમના બારણે આવી પહોંચ્યા. તેમણે એટલું જ કહ્યું કે તમે ઓર્ડર કરેલી મશીનરી ટૂંક સમયમાં આવી જશે. માટે તમે બે મહિના રોકાઈ જાઓ અને મશીનરી ગોઠવાઈને ચાલુ થાય પછી જવાનું રાખો. ડૉ. કુરિયનને શ્રી ત્રિભુવનભાઈ સાથે એવા સંબંધો બંધાઈ ગયા હતા કે તે ના ન પાડી શક્યા. તેમની બે મહિનાની એ નિમણુંક આજીવન બની જઈ વિશાળ હુગલી નદીની માફક અનેક ધારાઓમાં વહેંચાઈ જવાની હતી.
શ્રી ત્રિભુવનભાઈ પટેલ એક લોકપ્રિય નેતા, સામાજિક કાર્યકર્તા અને વગદાર રાજકારણી અને ડૉ. કુરિયન એક નિષ્ણાત ડેરી ટેકનોલોજીસ્ટ. એક નિષ્ઠાવાન કાર્યકર્તા અને એક નિષ્ઠાવાન અધિકારી બે ભેગા મળે તો કેવું સુંદર કાર્ય થાય તેનો ઉત્તમ નમૂનો એટલે અમૂલ ડેરી. બંનેએ મળીને એક ક્રાન્તિ કે જે પછીથી ‘શ્વેત કાન્તિ’ તરીકે જાણીતી થવાની હતી, તેની શરૂઆત કરી. પોલસનનો દૂધની ખરીદીનો એકાધિકાર સમાપ્ત થયો. આણંદમાં નાના પાયે દૂધના ચીલીંગ અને પ્રોસેસીંગનું કાર્ય શરૂ થયું. મુંબઈ સાથેનો દૂધનો વેપાર ચાલુ રહ્યો અને તેનો ફાયદો ખેડૂતોને મળવા લાગ્યો. સહકારી વ્યવસ્થા હોવાને કારણે સારા ભાવનો લાભ ખેડૂતો સુધી પહોંચતો થયો. જેમ જેમ ખેડૂતોને તેમના દૂધના સારા ભાવ સાથે સંપૂર્ણ ઉત્પાદનની ખરીદીની નિરાંત થવા લાગી તેમ તેમ દૂધની આવકો પણ વધવા લાગી. કેટલાય નાના ખેડૂતો દૂધ ઉત્પાદનને એક પૂરક સાધનને બદલે મુખ્ય સાધન માનતા થયા. જેમની પાસે જમીન નહોતી એવા કેટલાક ખેડૂતો પણ ગાય-ભેંસો રાખીને દુધનું ઉત્પાદન કરતા થયા. ડેરી દ્વારા ઉત્પાદકોને સારા ભાવ ઉપરાંત સારો પશુ-આહાર, ગાય-ભેંસ ખરીદવા માટે એડવાન્સ, પશુચિકિત્સકની સેવા વગેરે સગવડો પણ ધીરે ધીરે મળવા લાગી. મંડળીના નાના પ્લાન્ટની હવે મર્યાદા આવી ગઈ હતી. રોજની દૂધની આવક ૧૯૪૮માં ૨૦૦ લિટરથી વધીને ૧૯૫૨માં ૨૦,૦૦૦ લિટરની ઉપર પહોંચી ગઈ હતી.
એ અરસામાં ડૉ. કુરિયને લખ્યું હતું, ‘સહકારી મંડળીની સાથેસાથ હું ઊછર્યો અને નવા નવા પાઠો શીખ્યો. મારા શરૂઆતના જ પાઠોમાં મેં સમજી લીધું કે દરેક પડકારની અંદર જ એક તક સમાયેલી હોય છે.’ નાના પ્લાન્ટમાંથી મોટી ડેરીની જરૂરિયાત હવે તાકીદની બની હતી. તે માટે રેલ્વે સાઈડીંગ સહિત મશીનરી સ્થાપન માટે વિશાળ જમીનની જરૂરિયાત હતી. ડૉ. કુરિયન શ્રી ત્રિભોવનભાઈને એ વાત સમજાવી શક્યા અને તે જમાનામાં ખૂબ મોટી કહેવાય એવી ૪૦ લાખની મૂડીની વ્યવસ્થા પણ તેમણે ગોઠવી કાઢી. ડૉ. કુરિયન ડેરી વ્યવસ્થાપનની સાથે સાથે વારંવાર ગામડાઓની મુલાકાત લેતા, ત્યાં એકત્ર થતા દૂધની પ્રક્રિયાનું નિરીક્ષણ કરતા અને જરૂરી સલાહસૂચનો પણ આપતા.
એક રસપ્રદ કિસ્સો તેમણે જ ટાંક્યો છે. “એક વાર એમના જ એક મિત્ર અને અમેરિકામાં એમના સહાધ્યાયી એવા શ્રી મેડોરાએ એમનું ધ્યાન દોર્યું કે ‘કો-ઓપરેટીવના દૂધમાં અમને ફોર્માલીન મળ્યું છે.' હું ઘા ખાઈ ગયો. ફોર્માલીન તો એક ઝેર છે. કોઈ વાર તે ગેરકાનૂની રીતે દૂધની જાળવણી માટે પ્રીઝર્વેટીવ તરીકે વપરાય છે. કારણ કે તે માંકડો અને જિવાતને મારે છે. આ બાબતની તપાસ તો કરવી જ રહી અને ઝેરનું મૂળ શોધવું જ રહ્યું. અમે એક ટ્રક શોધી કાઢી જે એ ઝેરનું વહન કરતી હતી. જે છ ગામોમાંથી એ ટ્રક દ્વારા દૂધ એકઠું કરાતું હતું ત્યાં અમે પહોંચ્યા. ત્યારે અમને ખબર પડી કે એ દૂધ પાનસોરા ગામમાંથી આવતું હતું. ત્યાંની દૂધ મંડળીના પ્રમુખને બોલાવ્યા અને દૂધ જમા કરવાના કેન્દ્રની તલાશી લીધી. ખરેખર ત્યાં એક ફોર્માલીનની બાટલી પણ મળી. પ્રમુખે પ્રસન્નતાથી કહ્યું કે “અમે તો દરેક કેનમાં આટલું જ (દર્શાવતા) નાખી દઈએ છીએ જેથી દૂધ નકારાતું નથી.” પ્રમુખ એક નિરક્ષર ખેડૂત હતા. તેમને એ ઝેર છે અને ગેરકાયદેસર છે એવી ખબર પણ નહોતી, એટલે તેણે ખુશ થઈને એ વાત કરી. અમે તો ખૂબ ડરી ગયા. તેને કોણે આ વાત શીખવાડી હતી તે પૂછતાં તેણે સરકારી ડેરીમાંથી બે કેમીસ્ટો (તે ડેરીના મેડોરા પણ મારી સાથે હતા) આવ્યા હતા તેમણે આ સલાહ આપી હતી એવું જણાવ્યું. આણંદ પહોંચીને શ્રી મેડારાએ પહેલું કામ પેલા બે કેમીસ્ટો વિરૂદ્ધ પગલાં લેવાનું કર્યું.''
ડેરીની સાથે સાથે ડૉ. કુરિયનની કારકીર્દિ અને પ્રતિષ્ઠાનો પણ વિકાસ થતો ગયો. તેમણે ન્યુઝીલેન્ડમાં પાંચ માસ રહી ત્યાંની ડેરી વ્યવસ્થાનો અભ્યાસ કર્યો. ડેરીની બાબતમાં ન્યુઝીલેન્ડ વિશ્વમાં શ્રેષ્ઠ ગણાય છે. આ ઉપરાંત દૂધના ઉત્પાદનાં અગ્રણી એવા ડેન્માર્ક, હોલેન્ડ જેવા અન્ય દેશોની પદ્ધતિનો પણ તેમણે અભ્યાસ કર્યો અને અમૂલ ડેરીને ધીરે ધીરે વિશ્વસ્તરની ડેરી બનાવવામાં પ્રયત્નશીલ રહ્યા. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ ગામેગામ સહકારી ડેરીઓ હતી અને નવી થઈ રહી હતી. દરેક જિલ્લાવાર જિલ્લા સહકારી ડેરી પણ બનતી ગઈ. એમાં તે સમયે મોખરે હતી મહેસાણા (દૂધસાગર) ડેરી. ત્યાં પણ આધુનિક પ્લાન્ટ સ્થપાઈને દૂધની બનાવટો ‘સાગર’ બ્રાન્ડથી વેચવા માંડી હતી. ચતુર ડૉ. કુરિયનની દીર્ઘદષ્ટિ જોઈ શકી કે આ તો ડેરીઓ વચ્ચે હરિફાઈની શરૂઆત છે. તેથી તેમણે સાગર ડેરીના વડેરાઓ સાથે વાટાઘાટો કરી અને એવું નક્કી થયું કે સાગર દ્વારા ઉત્પાદિત બનાવટો પણ ‘અમૂલ’ બ્રાન્ડથી જ બને અને અમૂલની વિતરણ વ્યવસ્થાનો લાભ સાગર ડેરીને પણ મળે. ડૉ. કુરિયને એ પણ વિચાયું કે અમૂલ બ્રાન્ડનું વેચાણ વોલ્ટાસ અને સ્પેન્સર કંપનીઓ કરતી હતી તેના બદલે પોતાનું તંત્ર ઊભું કરવાનો સમય આવી ગયો છે. સાગર ડેરી સાથેના કરાર પછી તેમણે અન્ય જિલ્લાની ડેરીઓ સાથે પણ એવી જ વ્યવસ્થા થઈ શકે તે હેતુથી “ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન” નામની અલગ વેચાણ સંસ્થાની સ્થાપના કરી, જેથી તેમાં સંલગ્ન બધી જિલ્લા ડેરીઓનું માર્કેટીંગ વેચાણ એક ગ્રીડ હેઠળ થઈ શકે. જેમ જેમ દૂધની આવક વધતી ગઈ તેમ તેમ અન્ય બનાવટો જેવી કે ચીઝ, પનીર, ચોકલૅટ વગેરે નવા પ્લાન્ટ પણ ઉમેરાતા ગયા.
૧૯૬૦-૭૦ના દશકામાં અમૂલનું નામ સમગ્ર દેશમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યું હતું. ભારત સરકાર દ્વારા સંચાલિત સરકારી ડેરીઓ નુકસાન કરી રહી હતી. એક સમયના વડાપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રીને પણ અમૂલમાં રસ પડ્યો. તેમણે આણંદની મુલાકાત ગોઠવી અને ચૂપચાપ જિલ્લાના એક ગામ અજરપુરા પહોંચી ગયા. અજરપુરાની તેમની મુલાકાતની અગાઉથી ખબર કોઈને નહોતી. તેઓ જેમના મહેમાન બનવાના હતા તે યજમાનને પણ નહીં! શાસ્ત્રીજી ત્યાં એક પૂરા દિવસ-રાત રોકાયા, ગામના ખેડૂતો - જેમાં હિન્દુ, મુસલમાન, હરિજન, ગરીબ, અમીર બધા પ્રકારના ખેડૂતો હતા - વાતચીત કરી અને બીજે દિવસે આણંદ પહોંચ્યા. તેમને એક વાતનું આશ્ચર્ય હતું કે ખેડા જિલ્લાની ખેતી અંગેની પરિસ્થિતિ દેશના અન્ય ભાગો કરતા કોઈ રીતે ભિન્ન નહોતી છતાં અહીં આટલી સફળતા કેમ? આ અંગે તેમણે ડૉ. કુરિયનને પ્રશ્ન કર્યો ત્યારે ડૉ. કુરિયને તેમને ‘સરકારી’ અને ‘સહકારી’ વ્યવસ્થા વચ્ચેનો ભેદ સમજાવ્યો. અહીં તેમના શાસ્ત્રીજી સાથેના વાર્તાલાપનો એક અંશ રસપ્રદ હોવાથી ૨જુ કરવા જેવો છે. આ સંવાદ ‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ'ની રચનાની પૂર્વભૂમિકા સમાન છે.
શાસ્ત્રીજી એ કહ્યું, “કુરિયન, આનો અર્થ એ થયો કે આપણે ઘણાં ‘આણંદ’ ઊભા કરી શકીએ. એમ હોવાનું કોઈ કારણ નથી કે માત્ર ગુજરાતમાં જ ‘આણંદ' હોય. ખરું ને?”
ડૉ. કુરિયનને સંમતિ દર્શાવી. શાસ્ત્રીજીએ આગળ કહ્યું, “અચ્છા, તો કુરિયન, કાલથી તમે હવે માત્ર આણંદ માટે, ગુજરાત માટે જ કામ નહિ કરો. બલકે સમગ્ર ભારત માટે કરશો. ભારત સરકાર તમને કોરો ચેક આપશે... એ શરતે કે તમે તેના વડા બનવા તૈયાર હશો...''
ડૉ. કુરિયને કહ્યું, “તમારી વાતે મંજૂર થાઉં તે પહેલા મારી કેટલીક શરતો છે. પ્રથમ, હું ખેડૂતોનો સેવક છું અને રહીશ. સરકાર પાસેથી હું એક પૈસો નહિ લઉં... તેનું મુખ્ય મથક દિલ્હી નહી હોય, કારણ કે દિલ્હીના લોકો ઘણી બધી બાબતો ઉપર વિચાર કરે છે, પણ ખેડૂતો વિશે ઓછો. જ્યારે અહીં અમે ફક્ત ખેડૂતોનો જ વિચાર કરીએ છીએ. મતલબ કે જે કોઈ વિભાગ રચાય તેને આણંદમાં રાખશો.”
આમ એન.ડી.ડી.બી. જેવી રાષ્ટ્રિય સંસ્થાનું મુખ્ય મથક આણંદ બન્યું.
‘ઓપરેશન ફ્લડ’ નામનો એક અન્ય પ્રોજેક્ટ પણ તેમણે શરૂ કર્યો અને તેની હેઠળ દેશના અન્ય વિસ્તારોમાં આણંદ પ્રકારની ત્રિસ્તરીય સહકારી વ્યવસ્થા શરૂ થઈ. પહેલું સ્તર ગ્રામ્ય સહકારી મંડળીઓનું, બીજું સ્તર ડેરીઓના યુનિયનોનું અને ત્રીજું સ્તર તેમના ફેડરેશનનું. આ મોટા પ્રોજેક્ટના કારણે દેશના આશરે એક કરોડ ખેડૂતો દેશમાં દૂધની ક્રાન્તિ ‘શ્વેત ક્રાન્તિ’ સાથે સંકળાયા.
ડૉ. કુરિયનની ખ્યાતિ અને અમૂલની સફળતાની વાતો દેશના સીમાડા બહાર ફેલાઈ રહી હતી અને વિકસી રહેલા દેશોને આ બાબતમાં રસ પડ્યો હતો. પડોશી દેશ પાકિસ્તાનને પણ પડ્યો. જયારે વિશ્વબેન્કના એક પ્રતિનિધિમંડળના
વડા તરીકે (પાકિસ્તાને વિશ્વબેન્કને આગ્રહ કર્યો હતો કે પ્રતિનિધિમંડળમાં ડૉ. કુરિયન તો હોવા જ જોઈએ) પાંચ અઠવાડિયા માટે પાકિસ્તાનની ૧૯૮૨માં મુલાકાત લીધી ત્યારે ત્યાંના પ્રધાનોએ ડૉ. કુરિયનને અમૂલ જેવી સંસ્થા ત્યાં પણ શરૂ કરવા આગ્રહ કર્યો. પણ તે શક્ય બન્યું નહી.
જેમ જેમ અમૂલ પ્રયોગ વિસ્તરતો ગયો તેમ તેમ અનેક નવી નવી જરૂરિયાતો ઊભી થતી ગઈ. ગ્રામીણ અર્થતંત્ર અને વ્યવસ્થાપન તેમાં મુખ્ય હતી. દૂધની જેમ ખેડૂતોના અન્ય ઉત્પાદનોના વેચાણ, સુધારણા વગેરે પણ સાથે સાથે થાય તો સમગ્ર રીતે ખેડૂતોનો વિકાસ થાય. ડૉ. કુરિયનની કુશાગ્ર બુદ્ધિએ એનો માર્ગ પણ કાઢ્યો અને આણંદમાં જ ‘ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ’ (જે ‘ઈરમા' તરીકે પ્રસિદ્ધ છે)ની સ્થાપના થઈ, જે આજે એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા તરીકે કામ કરી રહી છે.
ડૉ. કુરિયનને તેમની પચાસ વર્ષની કામગીરીની કદરરૂપે અનેક રાષ્ટ્રિય અને વૈશ્વિક પારિતોષિકો પ્રાપ્ત થયા છે. ૧૯૬૫માં પદ્મશ્રી, ૧૯૬૬માં પદ્મભૂષણ અને ૧૯૯૯માં પદ્મવિભૂષણ દ્વારા તેમને દેશના ટોચના સન્માન મળ્યા. ૧૯૬૩માં રામન મેગ્સેસ્થે એવોર્ડ, ૧૯૮૬માં વાટોલર પીસ પ્રાઈઝ, ૧૯૮૯માં વર્લ્ડ ફૂડ પ્રાઈઝ જેવા વૈશ્વિક પારિતોષિકો મળ્યા.
ડૉ. કુરિયન અને શ્રી ત્રિભોવનભાઈ પટેલ તથા તેમના સહકાર્યકરોએ સહકારી ક્ષેત્રે કરેલી પ્રવૃત્તિને લોકભાગીદારીનો ઉત્તમ વિકલ્પ ગણી શકાય. વિશ્વના બે આર્થિક પ્રવાહો - મૂડીવાદ અને સમાજવાદની વચ્ચેનો આ સહકારી માર્ગ કેટલો સફળ થઈ શકે તેનો ઉત્તમ નમૂનો ‘અમૂલ’ છે.
ડૉ. કુરિયનની સમગ્ર કારકીર્દિની આ તો આછી રૂપરેખા છે. તેમનું સમગ્ર જીવન, તે દરમ્યાન તેમને થયેલા અનુભવો અને પ્રસંગો ખૂબ રસપ્રદ છે અને કોઈપણ નવલકથા કરતા પણ વધુ રોમાંચક છે.
No comments:
Post a Comment