વિશ્વાસ
‘વિશ્વાસ’ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે બે સંદર્ભમાં થાય છે. એક છે ‘ભરોસો’ અને બીજો ‘શ્રદ્ધા’.
‘ભરોસો’ અરસપરસના વ્યવહારમાં ખૂબ મહત્ત્વની વાત છે. એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે ભરોસા ઉપર જ દુનિયાનો વહેવાર ચાલે છે. ભરોસો રાખ્યા વિના દુનિયાનો વહેવાર ચાલી શકે જ નહીં. આપણે વિમાનમાં, ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતા હોઈએ તો આપણે તેના ચલાવનાર અને તેના તંત્રની વ્યવસ્થા ઉપર ભરોસો રાખવો જ પડે. જો આપણા નોકરને શાક કે અન્ય કે કોઈ વસ્તુ લેવા માટે બજારમાં મોકલીએ તો તે તેમાંથી કટકી નહીં કરે તેવો ભરોસો રાખવો જ પડે. જો ન રાખીએ તો આપણે જાતે તે કરવું પડે અથવા ભરોસો રાખી શકીએ તેવા માણસને જ શોધીને રાખવો પડે. હજારો ચીજ વસ્તુઓ દુકાનમાં કે કારખાનામાં હોય છે. જો કર્મચારી ઉપર ભરોસો ન રખાય તો કામ ચાલી શકે નહીં. મોટી સંસ્થાઓ ‘સીક્યુરીટી’ની વ્યવસ્થા રાખે છે, પણ હજારો નાના વેપારીઓ કે કારખાનાવાળા માટે તો કર્મચારીઓ ઉપર ભરોસો રાખ્યા વિના છૂટકો જ નથી.
ભરોસો સાચા અને સારા કાર્ય પૂરતો જ સીમિત હોય એવું બનતું નથી. અપ્રમાણિક કે ખરાબ કાર્યો માટે તો ભરોસો જ મુખ્ય આધાર છે. જો હું આવકવેરાપાત્ર હોવા છતાં કેટલીક આવક છુપાવું તો તે માટે મારે મારા કર સલાહકારનો ભરોસો તો રાખવો જ પડે. જો મેં ગુનો કર્યો હોય અને પોલીસ – કોર્ટમાં કેસ થાય તો મારે મારા વકીલ ઉપર ભરોસો રાખવો જ પડે. જુગાર સટ્ટા કે અન્ય અનૈતિક વહેવારોનો તો આધાર જ ‘ભરોસો' છે. આપણા સામાજિક વ્યવહારમાં પણ આપણે ડગલે ને પગલે અન્ય ઉપર ભરોસો રાખવો પડે છે.
ભરોસાનો પાયો માનવીમાં રહેલી પ્રમાણિકતા છે. પ્રમાણિક લોકો ઉપર આંખ મીંચીને ભરોસો મૂકી શકાય. કોઈનો ભરોસો તોડવો તે પ્રમાણિક લોકો માટે આધ્યાત્મિક રીતે પાપ છે, સામાજિક રીતે પ્રતિષ્ઠાને હાનિકારક છે અને વ્યાવહારિક રીતે, ભવિષ્ય માટે નુકશાનકારક છે. કોઈના ઉપર ભરોસો રાખવો કે કેમ તેનો નિર્ણય લેવા માટે કોઈ ખાસ દસ્તાવેજી પૂરાવા નથી હોતા. માણસના ભૂતકાળ, સામાજિક સંબંધો, રહેણી કરણી વગેરેના આધારે આપણે અંદાજ લગાવી શકીએ કે તેના ઉપર ભરોસો રાખી શકાય કે કેમ. છતાં તેની કોઈ ખાત્રી તો ન જ આપી શકે. સીક્યુરીટીના તમામ માપદંડોમાંથી સફળ રીતે ‘ક્લીયર’ થયેલા સ્વ. ઈન્દિરા ગાંધીના રક્ષકે જ તેની હત્યા કરી હતી. એવા તો ઘણા દાખલા આપણે જાણીએ છીએ. છતાં આપણે ભરોસો મુકીએ છીએ અને મોટે ભાગે ભરોસો સાચો પૂરવાર થાય છે. ભરોસો તોડવાના દાખલા ખૂબ ઓછા બને છે.
‘વિશ્વાસ' શબ્દનો બીજો સંદર્ભ ‘શ્રદ્ધા' છે. 'વિશ્વાસ' માટેનો અંગ્રેજી શબ્દ Faith અંગ્રેજીમાં ધર્મ ‘Religion’ના સંદર્ભમાં પણ વપરાય છે, એનો અર્થ આપણે એવો કરી શકીએ કે ‘શ્રદ્ધા' નો સંબંધ માણસની ‘આસ્થા’ સાથે છે. આ શ્રદ્ધા જ માણસના રાર્તનનો પાયો છે. માણસ જેટલી શ્રદ્ધાપૂર્વક તેમના આરાધ્યદેવ સામે મસ્તક નમાવે છે, તેટલી જ કાળજી તે જે ધર્મમાં માનતો હોય તેમાં નિર્દેશ કરેલા માનવીય વર્તનના આદેશોને માનવામાં પણ રાખે છે. માણસ જે રીતે દાન-પુણ્ય કરે છે, મંદિરો, ધર્મશાળા, પાંજરાપોળ, ચબૂતરા વગેરે બનાવે છે, તે જ રીતે તે ધર્મમાં નિર્દેશેલા આચાર વિચારનું પાલન કરવાનો પ્રયત્ન પણ કરે છે. આ આચાર-વિચારમાં પ્રમાણિકતા અને વિશ્વાસનું તત્ત્વ પ્રથમ હોય છે, પછી તે ગમે તે ધર્મ હોય.
માણસની શ્રદ્ધા - આસ્થા અને વિશ્વાસના પાયામાં જે ભગવાન કે અતિમાનવીય તત્વ હોય તે, ખરેખર છે કે કેમ, થયા હતા કે કેમ, કયા સ્વરૂપે હતા કે છે, વગેરેનું તેને માટે કોઈ મહત્વ નથી. તેનું જે સ્વરૂપ તેની સામે હોય છે અને તેણે સ્વીકારેલું હોય છે તે જ તેને સ્વીકાર્ય હોય છે. કોઈ પુસ્તકના સ્વરૂપે, કોઈ આકારના સ્વરૂપે, કોઈ ચિત્રના સ્વરૂપે, કોઈ મૂર્તિના સ્વરૂપે, કોઈ પ્રાણીના સ્વરૂપે કે પછી ખરેખર હરતી ફરતી વ્યક્તિના સ્વરૂપે, તે તેના આરાધ્યને ઓળખે છે, તેનામાં પૂરી શ્રદ્ધા રાખે છે અને તેને માટે જરૂર પડે તો ખપી જવા સુધીની તેની તૈયારી હોય છે. કારણકે તેની સાથે તે લાગણીથી જોડાયેલો હોય છે. તેની શ્રદ્ધાનું તે કેન્દ્ર બની જાય છે; તેની પ્રવૃત્તિનો તે મુખ્ય આધાર હોય છે. તેના આરાધ્યને યાદ કરીને તે બધી પ્રવૃત્તિ કરે છે. આ આરાધ્યને માટે જરૂર પડે તો સાંસારિક જીવન છોડી સન્યાસી જીવન સ્વીકારવાની પણ તેની તૈયારી હોય છે. આ કેન્દ્ર ઉપર ઘા થાય ત્યારે તેને તેનું પોતાનું અસ્તિત્વ જ જોખમમાં લાગે છે. એટલે તે પોતાનું અસ્તિત્વ જાળવવા માટે મરવા મારવા સુધી તૈયાર થઈ જાય છે. પોતાની આસ્થાને બચાવવા માટે કરોડો રૂપિયા દાવમાં લગાવવા પણ તેને સ્વીકાર્ય છે.
માણસની આ પાયાની શ્રદ્ધાના કેન્દ્રનું અસ્તિત્વ તેના મનની ઉપજ છે એવી દલીલ તેને સ્વીકાર્ય નથી. તે તો તેના વૈશ્વિક અસ્તિત્વમાં જ વિશ્વાસ રાખે છે. આવા અસ્તિત્વના હોવા ન હોવા અંગેના કે ભૂતકાળના કોઈ વાસ્તવિક પુરાવામાં તેને રસ નથી. કદાચ તેની બુદ્ધિ આવી કોઈ વાત સ્વીકારે તો પણ તેનું હૃદય તે સ્વીકારતું નથી. આપણે જાણીએ છીએ કે બુદ્ધિ ઉપર થયેલા ઘાનો તો દલીલો કે અન્ય રીતે સામનો થઈ શકે, પણ હૃદય ઉપરના ઘા તેને જીવલેણ લાગે છે.
No comments:
Post a Comment