ગઈ કાલ અને આવતી કાલ
ઝોબર્ટ બર્ડેટ નામના એક વિચારકે લખ્યું છે કે 'બે દિવસ એવા છે કે જેના વિષે કોઈએ કદી વિચાર ના કરવો જોઈએ - ગઈ કાલ અને આવતી કાલ.' આવા અનેક વિચારકો, ધર્મગુરુઓ, અનુભવીઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે માનવીના દુઃખોના મૂળ આજને ભૂલીને ગઈ કાલ અને આવતી કાલની ચિંતા કરવામાંથી જન્મ્યા છે.
આવતી કાલની વાત લઈએ. ઘણા માણસો આવતી કાળના સુખની અપેક્ષાએ આજે મળેલા સુખનો ઇન્કાર કરીને વિટમ્બણાઓ - દુઃખો વેઠે છે. આવતો જન્મ સારો મળે કે મૃત્યુ પછી સ્વર્ગ મળે તે માટે આજે એના મન કે શરીરને અનુકૂળ ના હોય એવી મુસીબતો ઊઠાવે છે. આપણા દાર્શનિક ચાર્વાક મુનિ (જેને નિરીશ્વરવાદી તરીકે ઓળખાવ્યા છે) એ કહેલી વાત વિચારવા જેવી છે. 'યાવત જીવેત સુખમ જીવેત, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત (મતલબ કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખથી જીવો, દેવું કરીને પણ ઘી ખાઓ) એક વાસ્તવવાદી સલાહ છે. એક અન્ય વિચારકે કહેલી વાત પણ વિચારવા જેવી છે. 'માનવીની ઘણીખરી જિંદગી જીવન જીવવા માટેની તૈયારી કરવામાં જ વેડફાઈ જાય છે.' આપણી એક કહેવત પણ આ વિષે સારી નુક્તેચીની કરે છે, 'પથારી કરવામાં જ સવાર થઇ ગઈ.' આપણામાંના મોટા ભાગના લોકોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરીશું તો તેઓ મોટા ભાગે પથારી જ કરતા હોય છે. કાલ સારી આવે તે માટે આજનો ભોગ આપવામાં આપણે એક પ્રકારનું ગૌરવ પણ લેતા હોઈએ છીએ. પણ કાલ કોણે દીઠી છે?
આવતી કાલને સુખી બનાવવા માટે માણસ જે પ્રવૃત્તિ કરે છે તેમાં આર્થિક પ્રવૃત્તિ મુખ્ય છે. ગજા બહારનું કામ કરીને કે શરીરને - કુટુંબને ભારે તકલીફ આપીને ધન એકઠું કરવા પાછળ પાડનારા માણસોનો તોટો નથી. એઓ રોજિંદી જિંદગીમાં આવતી સુખની અનેક ઘડીઓ વેડફી મારે છે. પછી એવું બને છે કે એની પાસે ભોગવવા માટે ધન ભેગું થાય છે ત્યારે એનું મન, શરીર કે સંબંધો એ માટે યોગ્ય રહેતા નથી. પાછળની જિંદગી આરામથી જાય તે માટે જુવાનીમાં જાતને ઘસી નાંખ્યા પછી આરામ અનુભવવાની ઈચ્છા થાય ત્યારે તેનું શરીર આરામથી બેચેન બની જાય છે. નિવૃત્તિ સુધી ઢસરડો કરતા અનેક માણસો નિવૃત્તિ પચાવવા યોગ્ય રહેતા નથી અને અકાળે જીવનનો અંત કે અસાધ્ય રોગો નોતરી બેસે છે, આવતા ભવમાં કે મૃત્યુ બાદ સુખની અપેક્ષામાં ભગવાને ભોગવવા માટે આપેલી મહામોલી જિંદગી એળે જવા દે છે.
'ગઈ કાલ'ની વાત કરીએ. ઘણા માણસો ભૂતકાળને વાગોળતા રહે છે. ભૂતકાળમાં તેમણે વેઠેલી તકલીફો બદલ ગૌરવ અનુભવે છે, પરાપૂર્વથી ચાલી આવેલી પરંપરાઓને વળગી રહેવામાં ગૌરવ મને છે - ફક્ત એટલે માટે કે તે પૂરાણી છે, પછી ભલે તે આજની સાથે સુસંગત ના હોય. પેઢીઓ જૂના વેર કે કવેણને યાદ રાખીને બિનજરૂરી ઝઘડાઓ વહોરી લે છે. ગૌરવભર્યા ભૂતકાળમાં રાચીને પ્રગતિમાં રૂકાવટ ઊભી કરેછે. ગઈ કાલે ખરાબ પણ આજે સારા એવા અનેક માણસો, ગઈ કાલે ખરાબ પણ આજે સારી એવી ચીજોને ભૂતકાળ યાદ કરીને - કરાવીને ભાંડે છે. ધર્મનું ઝનૂન, જડબેસલાક જ્ઞાતિપ્રથા એ ગઈ કાલને લટકી રહેવાનું પરિણામ છે અને એમાં હઝારો લોકોની આજ હરામ બની જાય છે.
ગઈ કાલની યાદ એટલા માટે જરૂરી છે કે એના અનુભવોમાંથી આજ સુધરે. ઇતિહાસના અનુભવો એમાંથી આજે બોધપાઠ લેવા માટે છે. જ્ઞાતિપ્રથા જેવી કોઈ પ્રકારની વ્યવસ્થા જરૂરી લાગે તો તે પણ તેના મર્યાદિત હેતુ પૂરતી જ છે. એ જ રીતે આવતી કાલ માટે વધુ પડતી ઉત્સુક્તાને બદલે એનું ગઈ કાલ અને આજના સંદર્ભમાં યોગ્ય આયોજન જરૂરી છે. લાખે એક એવી શક્યતાને અકસ્માત જ ગણાય. તેવી શક્યતા વિચારીને આપણી આજ ન બગાડાય - હા, ચેતતા જરૂર રહીએ.આવતી કાલ માટેનું આયોજન આજની જરૂરિયાત છે. એ એવી રીતે કરવું જોઈએ કે જેથી આજના અને આવતી કાલના સુખો-દુઃખો વચ્ચે યોગ્ય પ્રમાણ જળવાઈ રહે. આવતી કાલની મુઠ્ઠીભર તકલીફના નિવારણ માટે આજે ટોપલો ભરીને દુઃખ ના વેઠાય. કાલે ભૂખે મરવું પડે એટલી મોજ પણ આજે ના કરાય.
છેલ્લા કેટલાક વર્ષોથી ઉપભોક્તાવાદનું પ્રમાણ વધી રહ્યું છે. ઉપર કહ્યા પ્રમાણેની આચાર્ય ચાર્વાકની નીતિને અનુસરનારા લોકો વધી રહ્યા છે. શૂન્ય ટકાની લોન કે એવા અનેક પ્રલોભનોએ આજને ઉજવવાનું ખૂબ સરળ બનાવવા માંડ્યું છે. છોકરાના છોકરા સુખી થાય તે માટે તન તોડનારાની સંખ્યા ઘટી રહી છે ત્યારે ઉપરની વાત થોડી અવાસ્તવિક પણ લાગે. એટલે જ આવતી કાલની સાથે ગઈ કાલની વાત પણ કરી છે.
આવતી કાલનું આયોજન અને ગઈ કાલના બોધપાઠનું યોગ્ય સંયોજન કરીને આજને જીવવાનો પ્રયાસ કરીએ. આ સંયોજનો પાયાના માનવીય ગુણો - જેવા કે દયાભાવ, સહાનુભૂતિ, ઉદારતા, પ્રામાણિકતા વગેરેનું આવરણ ચડાવીને એવું બનાવીએ કે આપણે આપણી પોતાની કે પોતાનાની જ નહિ,પણ સમાજની આજને પણ જીવવા યોગ્ય બનાવીએ. માનવી એ સામાજિક પ્રાણી છે એટલે જો સમાજ સુખી ના હોય તો માનવી સુખી રહી શકે જ નહિ આ વાસ્તવિકતાનો ખ્યાલ રાખવો જ રહ્યો.
No comments:
Post a Comment