દત્તક
‘જોઈએ છે : ૨૫-૩૦ વર્ષની ઉંમરનું યુવાન જોડુ (કપલ) ‘દત્તક’ તરીકે.
એક-બે બાળકોવાળા શિક્ષિત જોડાને પ્રથમ પસંદગી.
સંપૂર્ણ વિગતો સાથે લખો : બોક્ષ નં.’ :
આ જાહેરાત જોઈને તે વિચારમાં પડી ગયો. સામાન્ય રીતે અને કાયદા અનુસાર બાળકને જ દત્તક લઈ શકાય . જયારે આ તો.. ! સરનામુ જણાવ્યું ન હોવાથી અનુમાનથી જ નક્કી કરવું પડે કે જાહેરાત આપનારનો હેતુ શો હશે. તેને લાગ્યું કે એક વાર આ અંગે તપાસ કરવા જેવું ખરૂં. જાહેરાતના ઉત્તરમાં એણે તે જ દિવસે પોતાની સંપૂર્ણ વિગત જાહેરાતકર્તાને મોકલી આપી. પછી એ પોતાના કામમાં એવો વ્યસ્ત થઈ ગયો કે એ વાત ભૂલી પણ ગયો.
લગભગ એક મહિના પછી એને એક ટૂંકો પત્ર મળ્યો. લખ્યું હતુ, ‘દત્તક અંગેની મારી જાહેરાતના પ્રત્યુત્તર બદલ આભાર. તમારી પત્ની સાથે તા...ના રોજ ... વાગે હોટલ …ના રૂમ નં... માં મને મળવા આવશો. આપણે સાથે જમીશું.'
ફરી તેના વિચારો ચાલુ થયા. કોણ હશે આ માણસ ! હજુ તેની ઓળખ તો છુપાવી જ રાખે છે! વિવિધ તરકીબો દ્વારા લોકોને ફસાવતા ઠગોમાંનો એક તો નહિ હોય! આમ છતાં એણે મળવા જવાનું નક્કી કર્યું. પત્ની જાગૃતિને તો તેણે કાંઈ વાત કરી જ નહોતી - તે પોતે જ ભૂલી ગયો હતો ને! હવે એને લઈ જવાની છે એટલે એને વાત તો કરવી જ પડશે.
અષ્ટમ્પષ્ટમ્ સમજાવીને લઈ જવા કરતા સાચી વાત કરી દેવી વધુ સલામત સમજી એણે જાગૃતિને વાત કરી. પહેલા તો અજ્ઞાત ભયના કારણે એણે એ ઝંઝટમાં પડવાની ના પાડી, પણ થોડીક સમજાવટ બાદ તૈયાર થઈ ગઈ. ચીન્ટુ અને પીન્કીને સાથે જ લઈને જવાનું પત્નીનું સૂચન એણે સ્વીકારી લીધું. એને લાગ્યું કે એ વધુ સલામત હતું.
નક્કી કરેલા સમયે એ લોકો હોટલ ઉપર પહોંચી ગયા. રીસેપ્શન પર તપાસ કરતા એમને કહેવામાં આવ્યું કે તેમણે થોડીવાર લોન્જમાં રાહ જોવી પડશે. બાળકોએ તો લોન્જમાં દોડાદોડ કરી મૂકી. જાગૃતિને એમને સંભાળવા ખૂબ મથવું પડ્યું. એક વાર તો એણે ચેતનને ઘરે પાછા જવા માટે કહ્યું પણ ખરું! લગભગ વીસેક મિનિટ પછી પાકટ ઉમરના એક ભાઈ એમની સામે આવીને ઊભા રહ્યા. પહેલાં જાગૃતિને નમસ્તે કર્યા અને પછી ચેતન તરફ હાથ લંબાવી કહ્યું, “હું અતુલ પંડ્યા. મેં જ તમને બોલાવ્યા છે. વેલકમ.” ચેતને હાથ લંબાવી હસ્તધૂનન કર્યું. એને આ માણસ પહેલી નજરે ખરાબ ન લાગ્યો.
“મારે કામમાં મોડું થઈ ગયું એટલે મેં રીસેપ્શન પર ફોન કરી તમને રાહ જોવા કહ્યું હતું. મારી રાહ જોવી પડી તે બદલ દિલગીર છું.” અતુલભાઈએ વિવેકથી કહ્યું.
“કાંઈ વાંધો નહિ. આપનું આમંત્રણ ન હોવા છતાં અમે બાળકોને લઈ આવ્યા છીએ તે બદલ અમે પણ દિલગીર છીએ. પણ એમને એકલા મૂકીને બંને જણાથી આવી શકાય એવું નહોતું.” ચેતન કાંઈ કહે તે પહેલાં જ જાગૃતિએ વિવેક કરી દીધો.
“સારું કર્યું. મારી જ ભૂલ કે મેં એમને આમંત્રણ ન આપ્યું.” એમની વાણી અને હાવભાવથી ચેતનને એમાં દંભ ન દેખાયો. એનો ડર ઓછો થયો.
‘‘ઉપર રૂમમાં બેસીશું?’’ એમણે કહ્યું. રીસેપ્શન ઉપર જઈ રૂમની ચાવી લીધી અને ચા-નાસ્તાનો ઓર્ડર પણ આપ્યો. પછી એમની સમક્ષ આવીને ‘ચાલો’ કહી આગળ થયા. રૂમમાં નજર કરતા એને લાગ્યું કે ફક્ત મુલાકાત માટે જ એ બુક કરવામાં આવ્યો છે, કારણ કે એમાં કોઈ સામાન દેખાતો ન હતો.
લગભગ પાછળ પાછળ જ ચા તથા નાસ્તો આવી ગયા અને અતુલભાઈએ વિવેકપૂર્ણ આગ્રહથી બંનેને તથા બાળકોને ચા-નાસ્તો કરાવ્યો. પછી ઊભા થઈ રૂમનું ટી.વી. ચાલુ કરી બાળકોને તેમાં પરોવ્યા અને પછી ચેતન તથા જાગૃતિ તરફ વળ્યા.
“મારી જાહેરાત વાંચીને અને આ રીતે હોટલમાં બોલાવવા બદલ તમને કુતુહલ થયું હશે. એ પણ શક્ય છે કે તમે માત્ર કુતુહલથી જ કાગળ લખ્યો હોય. આજે તમે મારા આમંત્રણને માન આપીને આવ્યા છો તેની પાછળ પણ કુતુહલવૃત્તિ જ હોય એ શક્ય છે.’’ કહી જરાક અટકીને મને પૂછ્યું, “સાચું છે ને મારૂં અનુમાન?”
ચેતનને કહેવું નહોતું છતાં કહેવાય ગયું, “જી પણ..’’ તેને લાગ્યું કે પોતે ધારતો હતો તેના કરતાં આ વ્યક્તિ વધુ અનુભવી - જમાનાનો ખાધેલ છે.
“કશો વાંધો નહિ. હું પણ એવું કરૂં. મને આ સંદર્ભમાં જેટલાં લોકો મળ્યા છે તેમાંથી એક બેને બાદ કરતાં બધાં જ કુતુહલપૂર્વક મળ્યા છે. પણ તમારી માફક સીધેસીધી કબૂલાત કોઈએ કરી નથી. મને તમારી એ નિખાલસતા ગમી.” કહી તેમણે ચેતન તરફ જોયું અને હસ્યા.
“મુલાકાત માટે હોટલમાં બોલાવવા પાછળના કેટલાક કારણમાં આ પણ ખરું. જેઓ ગંભીર નથી તેમની પ્રથમ મુલાકાતમાં જ બાદબાકી કરવાનું. આમ તો હોટલનો ખર્ચ કરવો મને ગમે નહિ, પણ આ બાબતમાં એ જરૂરી છે એમ મને લાગ્યું. મને મળેલા બધા બાયોડેટામાં સમાવાયેલી બાબતો ઉપરાંત તેમના ભૂતકાળ, કુટુંબ વગેરે અંગે મેં ખાનગી એજન્સી દ્વારા પણ તપાસ કરાવી લીધી છે અને તેમાંથી જે અનુકુળ લાગ્યા એવા કેટલાક કપલને મેં રૂબરૂ મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. તમારી નોકરી, તમારો પડોશીઓ સાથેનો વ્યવહાર, જાગૃતિબેનની પ્રવૃત્તિ, બાળકોનો અભ્યાસ વગેરે ઘણી બધી બાબતો વિષે મેં માહિતી મેળવી લીધી છે એટલે એ અંગે હું તમને કાંઈ પૂછવાનો નથી. મેં તમને અહીં બોલાવ્યા છે મારી વાત કહેવા અને તે અંગે વિચાર કરવાનો તમને સમય આપવા. મેં પહેલાં કહ્યું તેમ મને જે લોકો નિખાલસ નથી લાગ્યા તેમની બાદબાકી જ કરી છે.’’ કહી તે સહેજ અટક્યા.
“મારી વાત હું ટૂંકમાં જ કહીશ. હું નિવૃત્ત માણસ છું. મારી બચતો અને રોકાણોમાંથી થતી આવક અમારા બે જણાને સામાન્ય જીવન જીવવા માટે પૂરતી છે. મારી પત્ની પણ લગભગ મારી જ ઉંમરની છે અને ઘરનું સામાન્ય કામ સારી રીતે કરી શકે એટલી તંદુરસ્ત છે. અમારે બે બાળકો છે. બંને પરણીને અમેરિકામાં સ્થાયી થયા છે. તેમના બાળકો પણ હવે ખાસ્સા મોટા થયા છે. એ લોકોને અમારી ચિંતા ખરી, પણ કોઈની તૈયારી અહીં આવીને રહેવાની નથી. અમને ત્યાં જઈને સ્થાયી થવા આગ્રહ કરે છે, પણ અમને ત્યાં ફાવતું નથી. વર્ષે બે વર્ષે થોડા દિવસો જઈ આવીએ છીએ પણ ત્યાં કાયમ રહેવા માટે દિલ માનતું નથી. એ લોકો પણ અનુકુળતા પ્રમાણે આવે છે અને થોડા દિવસ રહી પાછા જાય છે, પછી ઘરમાં અમે બંને એકલા. હું તો બહાર જાઉં, થોડી ઘણી સામાજિક પ્રવૃત્તિ પણ કરું અને એ રીતે થોડો સમય પસાર પણ કરું. પણ મંદા તો સાવ એકલી. પડોશ ખરો, સારો પણ ખરો અને જરૂર પડે મદદ પણ કરે. પણ પહેલેથી જ અલગ રહેવા ટેવાયેલા હોવાને કારણે કામ સિવાય વધુ સંપર્ક રાખવાની ટેવ નથી.” તેઓ અટક્યા. ચેતન અને જાગૃતિ રસથી તેમને સાંભળતા હતા તે તેમણે જોયું. બાળકો ટી.વી.ઉપર કાર્ટૂનો જોવામા વ્યસ્ત હતા.
તેમણે આગળ ચલાવ્યું, “બીજા બધા સગા પણ ઘણા છે, મારી બહેનો, ભાણેજો, પિતરાઈઓ વગેરે. એમાંના ઘણાં બહારગામ છે અને પોતપોતાના જીવનમાં વ્યસ્ત છે. પ્રસંગોપાત તેઓ અહીં આવે છે, અમે તેમને ત્યાં જઈએ છીએ. એટ્લો વખત ગમે છે. પણ અમારે હવે – આ ઉંમરે, કાયમ અમારી સાથે રહે એવા કુટુંબની હૂંફ અને સંગાથની જરૂર છે. એટલે અમે નિર્ણય કરીને આ જાહેરાત આપી છે. એ પહેલા અમારા પુત્ર પુત્રીની સંમતિ પણ મેળવી લીધી છે. જાહેરાતમાં ‘દત્તક’ શબ્દનો ઉપયોગ એટલા માટે કર્યો છે કે જે કોઈ કુટુંબ અમારી સાથે રહેવા તૈયાર થાય તે કાયદેસર અમારી મિલકતના હક્કદાર બને. ઉલટ પક્ષે અમારી સંપૂર્ણ જવાબદારી, અમે બંને હોઈએ ત્યાં સુધી બંનેની અને એક રહે ત્યારે તેની, એમણે સંભાળવી પડે. એ પ્રમાણેનો કાયદેસરનો કરાર કરવાની તૈયારી પણ રાખવી પડે. બસ આટલી છે મારી વાત.” કહી તે ઊભા થયા અને ‘‘ચાલો, આપણે જમી લઈએ.” કહી તે બાળકો તરફ ગયા. ચેતન અને જાગૃતિ બંને એકબીજા તરફ જોતા રહ્યાં.
જમતા જમતા કાંઈ ખાસ નવી વાત થઈ નહીં. અતુલભાઈ બાળકો સાથે વાતો કરતા રહ્યા. ખૂબ આગ્રહ કરીને બધાને તેમણે જમાડ્યા અને પછી આઈસક્રીમ પણ મંગાવ્યો. ‘મારે તો બે..’ એવું ચીન્ટુ બોલ્યો કે તરત જ તેમણે બંને માટે બીજો આઈસક્રીમ પણ મંગાવ્યો. જમવાનું પૂરું થતા બધા ઊઠ્યા અને અમે અમારૂં સ્કૂટર લેવા પાર્કીંગ તરફ વળતા હતા ત્યારે તેમણે ગજવામાંથી તેમનું કાર્ડ કાઢીને આપતા ચેતનને કહ્યું, “આ મારું કાર્ડ. બીજી મુલાકાત મારા ઘરે કરીશું, ... તારીખે ... વાગે. બાળકોને જરૂર લાવજો.” કહી હસી પડ્યા.
ત્યારપછી ચેતન અને જાગૃતિ પાછા પોતાના કામમાં પડી ગયા. પણ દરરોજ એકલા પડે એટલે અતુલભાઈનો ચહેરો અને તેમની વાત યાદ આવી જાય. બંને આ વાત ઉપર ગંભીરતાથી વિચાર કરી તેના સારા નરસા પાસાની ચર્ચા કરતા રહ્યા. અને એમ કરતા બીજી મુલાકાતનો દિવસ પણ આવી ગયો. ‘જવું, ન જવું' કરતા અંતે જવાનું નક્કી કરી બંને બાળકોને લઈને પહોંચી ગયા. ઘર સારી સોસાયટીમાં ખરેખર મોટું હતું. પોતાની ભાડાની બે રૂમની સરખામણીમાં તો ખૂબ મોટું કહેવાય. ચેતનને લાગ્યું કે બંને અતુલભાઈને ‘હા’ કહેવાની દિશા તરફ અજાણપણે આગળ વધી ગયા છે. બાળકોને તો મઝા પડી ગઈ. મંદાબેનનો સાલસ અને મળતાવડો સ્વભાવ બંનેને ખૂબ ગમી ગયો. ચેતન હવે બોલવાની છૂટ લેતો થયો હતો, “મંદાબેન માટે તમારી આટલી લાગણીને કારણે જ તમે આવો નિર્ણય લીધો લાગે છે. કેટલા કમનસીબ કહેવાય તમારા બાળકો કે જેને આવી માનો છાંયડો નસીબમાં નથી!”
એ લોકો રોકાયા ત્યાં સુધીમાં એક પણ વાર અતુલભાઈએ ચેતનને પૂછ્યું નહીં કે તેણે શો નિર્ણય કર્યો. કદાચ તેમને ખાત્રી હશે કે બંને હજુ દ્વિધામાં છે. છૂટા પડતી વખતે ચેતને જ સામે ચાલીને કહી દીધું, “અમે કાંઈ નિર્ણય કરી શક્યા નથી.”
“સમજું છું. આવી બાબતમાં ઉતાવળે નિર્ણય લેવાય પણ નહીં. આપણે વારંવાર મળીએ, એકબીજાને સારી રીતે ઓળખીએ, પછી જ નિર્ણય કરીશું. ત્યાં સુધી આપણે દોસ્ત તો ખરા જ ને!” કહી તેમણે પંદરેક દિવસ પછી ફરી આવવાનો આગ્રહ કર્યો. પછી તો બાળકોને પણ અતુલભાઈને ત્યાં જવાની મઝા પડી ગઈ.
એક વાર જાગૃતિએ હસતા હસતા પીન્કીને પૂછ્યું, “આપણે અતુલદાદાને ઘરે જ રહેવા જતા રહીએ તો તને ગમે?’’ પીન્કી તો ખુશ થઈ ગઈ.. અને ખરેખર થોડા દિવસ પછી ચેતન કુટુંબને લઈને અતુલભાઈને ત્યાં રહેવા આવી ગયો, ભાડૂઆત તરીકે. બંને વચ્ચે એવી સમજૂતી થઈ કે એકાદ વરસ ચેતન ભાડુઆત તરીકે રહે, તે દરમિયાન જો અનુકુળ આવે તો જ કરાર કરવો.
ચેતનના રહેવા આવ્યા બાદ વારાફરતી અતુલભાઈના પુત્ર અને પુત્રી પણ પરિવાર સાથે થોડા થોડા દિવસ માટે અમેરિકાથી આવી ગયા. તેમને અતુલભાઈએ વાત કરી દીધી હતી. બીજા બધા સગાઓ સાથે તો અતુલભાઈએ ચેતનનો પરિચય ‘મિત્રના પુત્ર’ અને ‘ભાડુઆત’ તરીકે જ કરાવ્યો. અતુલભાઈની પુત્રી તો આ લોકો સાથે સારી રીતે ભળી ગઈ, પણ પુત્ર થોડો અતડો રહ્યો. તેમના ગયા પછી નિખાલસપણે અતુલભાઈએ પણ કબૂલ કર્યું કે પુત્રને આ વ્યવસ્થા બહુ ગમી નથી.
“ગમે તેટલું કમાતા હોય, મિલકત હોય, પણ પોતાના ભાગમાંથી થોડુંક પણ જતું કરવાનું કોને ગમે?” તેમણે ઉમેર્યું. ચેતનને આ નિખાલસ અને ભલા માણસ પ્રત્યે ખૂબ લાગણી થઈ આવી. તે રાત્રે જ તેણે જાગૃતિને પણ મનાવી લીધી અને બંનેએ બીજે જ દિવસે કરાર કરી દીધા.
હવે સગાવાલાની નજરમા ભાડૂત પણ ખરેખર ‘દત્તક’ એવા ચેતનને એની જવાબદારીનું ભાન થયું! એક તરફ બાળકોનું ભવિષ્ય બનાવવાની જવાબદારી અને બીજી તરફ વૃધ્ધાવસ્થાને આરે પહોંચેલા આ વૃદ્ધ દંપત્તિની જવાબદારી! ‘કરાર કરવા માટે લાગણી અને લાલચથી દોરવાઈ જઈને તેણે ભૂલ તો નથી કરી?' તેને પ્રશ્ન થયો. બાળકો, પત્ની, અતુલભાઈ અને મંદાબેન સૌ ખુશ હતા. થોડા જ સમયમાં મંદાબેન સાથે જાગૃતિને સગી માતા જેટલી માયા બંધાઈ ગઈ અને બાળકો તો વડીલોને દાદા દાદી તરીકે જ સંબોધતા.
એક દિવસ મંદાબેન અચાનક બિમાર થઈ ગયા. ફેમીલી ડૉક્ટરે તાત્કાલિક હોસ્પીલમાં દાખલ કરીને હાર્ટ સ્પેશિયાલીસ્ટને બતાવવાની સલાહ આપી. જાતજાતના ટેસ્ટ થયા, ખૂબ ખર્ચ થયો. ડૉકટરે મુંબઈ, મદ્રાસ કે પછી પરદેશ જઈ હૃદયનું ઑપરેશન કરાવવાની સલાહ આપી. ચેતને ઓફીસમાં પણ રજા લઈ લીધી. અમેરિકા પુત્ર-પુત્રીઓને ફોન કર્યા તો તેમણે પણ મમ્મીની સારવાર કરવા માટે બધું કરી છૂટવાની ચેતનને તાકીદ કરી, પણ સર્જરી માટે અમેરિકા આવી જવાની વાત બંનેમાંથી એકે યે ન કરી. અતુલભાઈ તો ખૂબ મુંઝાઈ ગયા હતા. ચેતને જ મંદાબેનને મુંબઈ લઈ જવાની તૈયારી કરી. સર્જરી અને અન્ય ખર્ચ માટે અઢી ત્રણ લાખ રૂપિયાની તાત્કાલિક વ્યવસ્થા તો અતુલભાઈના સગા-મિત્રો દ્વારા થઈ ગઈ અને ઘર જાગૃતિ અને બાળકોને ભરોસે છોડી અતુલભાઈ અને ચેતન મંદાબેનને લઈને મુંબઈ ગયા. હોસ્પીટલમાં લાંબો સમય રહેવું પડશે અને વધારે પૈસાની જરૂર પડશે એમ લાગતા, અતુલભાઈ ફરી અમદાવાદ આવ્યા. તેમની પાસે જે કાંઈ ડીપોઝીટો હતી તે ઉપાડી લીધી અને શેરો હતા તે પણ મંદીના ભાવે વેચી દીધા.
દોઢેક મહિનાની સારવાર અને છ-સાત લાખના ખર્ચના અંતે મંદાબેન સારા તો થયા, પણ શરીર ખૂબ કમજોર થઈ ગયું. જાગૃતિને બાળકો, પતિ અને અતુલભાઈની જવાબદારી ઉપરાંત મંદાબેનની પણ વિશેષ કાળજી રાખવી પડતી. બહારગામથી સગા-વહાલાઓ ખબર કાઢવા આવતા તેમની પણ સરભરા કરવી પડતી. સગાઓ તો એને ભાડૂત જ સમજતા હતા, છતાં કોઈને પોતાના તરીકે મંદાબેન સાથે રહી જવાનું જરૂરી ન લાગ્યું. અમેરિકાથી પુત્ર અને પુત્રી પણ વારાફરતી આવી ગયા, થોડા દિવસ રોકાઈને પાછા જતા પણ રહ્યા. આ બધાને લીધે પણ ખર્ચ ખૂબ વધી ગયું. માતાની સારવારના ખર્ચ અંગે પુત્રે ન તો કાંઈ અતુલભાઈને પૂછ્યું, ન તેમણે કાંઈ કહ્યું.
બચતો ઉપડી જવાથી વ્યાજની આવક પણ ઘટી ગઈ. ઘરનો સામાન્ય ખર્ચ પણ ચેતનના ટૂંકા પગારમાંથી નીકળતો નહોતો. ચેતન એના નસીબને દોષ દેતો હતો. જાગૃતિ એને સમજાવવા પ્રયત્ન કરતી. એક દિવસ અતુલભાઈએ જ ચેતનને બેસાડીને પૂછ્યું, “તારા બાળકો, પત્ની ઉપરાંત અમારી જવાબદારી તને ભારે તો નથી પડતી ને? હવે તો મારી આવક પણ ઓછી થઈ ગઈ છે.”
“તકલીફ તો આપણને બધાને પડે છે અને સાથે જ ભોગવીશુ.” ચેતને ઉત્તર આપ્યો. પછી તો ઘણી વાતો થઈ. બધી જ શક્યતાઓ તપાસી ગયા પછી બંને એવા નિર્ણય ઉપ૨ આવ્યા કે આ મોટું મકાન વેચી દેવું અને એક ફ્લેટ ખરીદી તેમાં રહેવા જતાં રહેવું. અમેરિકા પુત્રને જ્યારે આ વાત જણાવી ત્યારે તેણે એનો વિરોધ કર્યો, પણ અતુલભાઈ મક્કમ રહ્યા. બધા બંગલો છોડી ફલેટમાં રહેવા આવી ગયા. થોડીક રકમ પાછી વ્યાજે મૂકી એટલે આવક વધી. છતાં ચેતનના મનમાં એક ડર હતો કે ‘ફરી કોઈ મોટો ખર્ચ આવે તો શું કરીશું?’ આવકના પ્રમાણમાં ખર્ચ વધતું જતું હતું અને તેના કારણે બચતો પણ ઘસાતી જતી હતી.
અતુલભાઈએ ચેતનને સૂચવ્યું કે ઓછા વ્યાજે મૂડી રોકી રાખીને સંતોષ માનવાના બદલે કોઈક ધંધામાં રોકી વધારે વળતર મેળવવા પ્રયત્ન કેમ ન કરવો? વિચાર કરતા ચેતનને પણ એ જોખમ લેવાનું મન થયું. પણ નસીબ બે ડગલા આગળ હોય તેમ ધંધામાં પણ જામ્યું નહીં અને વધુ નુકસાન અટકાવવા જે મળ્યું તે ભેગું કરીને થોડી ઘણી મૂડી પાછી મેળવી લીધી. ચેતને પાર્ટ ટાઈમ નોકરી પણ ચાલુ કરી. જાગૃતિએ પણ નોકરી કરવા તૈયારી બતાવી પણ મંદાબેનને ઘરમાં એકલા છોડાય તેવું નહોતું. ચેતનને હવે ક્યારેક તો પોતાના નિર્ણય બદલ ખરેખર પસ્તાવો થતો હતો, પણ અતુલભાઈ અને મંદાબેન સાથે લાગણીનો સંબંધ એટલો મજબૂત બની ગયો હતો કે એ છોડાય તેમ નહોતો. એણે એવી દલીલ કરીને મન માનવી લીધું કે પોતાના માબાપ હોત તો પણ આવું જ થાત ને.
બે વરસ પછી ચેતન, જાગૃતિ, બાળકો જે રીતે ભાડાનું ઘર છોડીને ગયા હતા તે જ રીતે પાછા ભાડાના ઘરમાં આવી ગયા - બે વૃદ્ધ, અશક્ત અને બિમાર વડીલોને સાથે લઈને. અતુલભાઈના પુત્ર તથા પુત્રી ફરી એક બે વાર અમેરીકાથી આવી ગયા અને થોડુંક રોકાઈને જતા રહ્યા, ચેતન જાગૃતિને ‘દત્તક’ના મહેણા-ટોણા કરીને. થોડાક સમય પછી એકાએક અતુલભાઈ ગુજરી ગયા. તેના થોડા સમય પછી ચેતનની જવાબદારી ઓછી કરવા મંદાબેન પણ એમની પાછળ ગયા.
ફરી પરદેશથી પુત્ર-પુત્રી ખરખરો કરવા આવ્યા. ચેતન અને જાગૃતિએ સગા ભાઈ બહેનની માફક જ તેઓને સાચવ્યા. જતાં જતાં પુત્રી તો જાગૃતિની તારીફ કરતી ગઈ, પણ પુત્ર હજુ પણ બંગલો વેચી દેવા માટે ચેતનને જ જવાબદાર માનતો હતો. ચેતને પોતે અહીં રહેવા આવ્યો ત્યારે અતુલભાઈએ કરેલું વસિયતનામુ પુત્રને વાંચવા આપ્યું ત્યારે પુત્રની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ!
“શું મારા પપ્પાને આટલું દેવું હતું? આવકનો એક ભાગ તો મારા ભણતર માટે લીધેલી લોનના હપ્તા ભરવામાં વપરાઈ જતો હતો.
અને કોઈ દિવસ મને કહ્યું પણ નહિ! એ જાણવા છતાં તેં તેમની જવાબદારી સ્વીકારી?..."
“મંદાબેન માંદા પડ્યા ત્યાં સુધી તો બધું બરાબર હતું, પણ તેમની સારવારમાં ઘણો વધારે ખર્ચ થઇ ગયો, પછી જ મુશ્કેલી શરુ થઇ." ચેતને કહ્યું.
તે ઊઠીને ચેતનને વળગી પડ્યો, “તું દત્તક નહીં એમનો સાચો પુત્ર જ છે, હું તો ફક્ત શ્રાદ્ધ કરવા પૂરતો.’’ અને તેની આંખો ભીની થઈ.